રાજ્યમાં હજુ વરસાદની સિઝન શરૂ જ થઈ છે અને તમામ રોડની હાલત કથળેલી જોવા મળી રહી છે. ત્યારે રાજ્યમાં ખરાબ રોડ રસ્તા મુદ્દે હવે ગુજરાત હાઈકોર્ટ પણ આકરાપાણીએ જોવા મળી રહી છે. હાઈકોર્ટે સરકારને ખખડાવતા કહ્યું કે ખરાબ રોડ જેવી પરિસ્થિતિમાં જવાબદાર અધિકારીઓ સામે પગલા લો, બેદરકાર અધિકારી સામે ચાર્જફ્રેમ થઈ શકે છે. બેદરકાર અધિકારીઓના લીધે કાયદાનું પાલન ન થાય તે ચલાવી લેવામાં આવશે નહીં.
હાઈકોર્ટે વધુમાં કહ્યું કે દર વર્ષે આ પરિસ્થિતિમાં જનતા મુકાય તે કેમ ચલાવી લેવામાં આવે છે. સરકાર દ્વારા કેમ કોઈ પગલા લેવામાં આવતા નથી. રાજ્ય સરકાર સ્ટેન્ડ ક્લિયર કરે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લે તે જરૂરી છે. તંત્રના ભોગે નિર્દોષ જનતા ભોગ બને તે કોઈ પણ રીતે ચલાવી લેવામાં નહીં આવે. ખરાબ અને હલકી ગુણવતાના રોડ-રસ્તાઓ બનાવતા કોન્ટ્રાક્ટરો સામે દંડ સહિતને કાર્યવાહી કરવામાં આવી જોઈએ. ઉલ્લેખનીય છે કે ખરાબ રોડ રસ્તા મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં આગામી સુનાવણી 17 જુલાઈના રોજ યોજાશે.
બીજી તરફ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચોમાસામાં ભારે વરસાદને પગલે નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે તેમજ ગામો, નગરો-મહાનગરોના રસ્તાને થયેલા નુકસાનનું દુરસ્તી કાર્ય 24X7 યુદ્ધના ધોરણે શરૂ કરાવ્યું છે. તેમણે સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા માર્ગો-પુલોના મરામતોના કામોની સમીક્ષા સી.એમ. ડેશબોર્ડની વિડીયો વોલ મારફતે હાથ ધરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં માર્ગો-પુલો, નાળા, કોઝ-વે વગેરેની પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે ચકાસણી કરવામાં આવી હતી તે સંદર્ભની મરામત સૂચનાઓનું પાલન થવામાં કોઈ ક્ષતિ કે કચાશ ન રહે તે સુનિશ્ચિત કરીએ.
રાજ્યમાં ખરાબ રોડ-રસ્તાઓ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ આકરાપાણીએ, કહ્યું જવાબદાર અધિકારીઓ સામે પગલા લો
By Himanshu Ramani (Idar)
Kapil Patel