IRCTC એ Tatkal ટિકિટ બુકિંગમાં મોટો ફેરફાર કર્યો છે, જે આજથી લાગુ થઈ રહ્યો છે. હવે તત્કાલ ટિકિટ બુક કરવા માટે આધાર સાથે લિંક કરેલ મોબાઇલ નંબર ફરજિયાત રહેશે, જેના પર OTP આવશે. જો તમે IRCTC એકાઉન્ટને તમારા આધાર સાથે લિંક નહીં કરાવ્યું હોય તો, તમે આજથી તત્કાલ ટિકિટ બુક કરી શકશો નહીં.

ભારતીય રેલવે વિભાગે મુસાફરો માટે નવા નિયમો પણ લાગુ કર્યા છે. હવે તત્કાલ ટિકિટ બુક કરવા માટે આધાર વેરિફિકેશન જરૂરી રહેશે. ઉપરાંત 15મી જુલાઈથી, ટિકિટ બુકિંગ (ઓનલાઇન અથવા ઓફલાઇન) માટે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન લાગુ થશે, જેમાં તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP આવશે. જે બાદ તમે તત્કાલ ટિકિટ બુક કરાવી શકશો.

IRCTCના આ નવા નિયમથી તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં પારદર્શિતા આવશે. તેમજ એજન્ટો દ્વારા થતો દુરુપયોગ રોકાશે અને મુસાફરોની ઓળખની પુષ્ટિ થશે. પહેલા મોટાભાગે એજન્ટો Bulkમાં ટિકિટ બુક કરી લેતા હતા, જેથી સામાન્ય નાગરિકોને ટિકિટ નહોતી મળતી. તેથી હવે માત્ર એજ યાત્રી Tatkal ટિકિટ બુક કરાવી શકશે, જેમનું આધાર લિંક હશે.

બીજી તરફ રેલવે ટિકિટના ભાવમાં થોડો વધારો થઈ ગયો છે. નોન-એસી કોચ માટે પ્રતિ કિલોમીટર 1 પૈસા અને એસી કોચ માટે પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો થયો છે. આ ઉપરાંત રિઝર્વેશન ચાર્ટ હવે ટ્રેનના પ્રસ્થાનના 8 કલાક પહેલા તૈયાર કરવામાં આવશે, જેથી વેઇટિંગ લિસ્ટમાં રહેલા મુસાફરોને અન્ય વ્યવસ્થા કરવા માટે સમય મળી શકે.